1લી મે અને એક સીડી ગુજરાતી-આકાશ આંબવા માટે !!

ગુજરાતી સોફ્ટવેરનો  લોકાર્પણવીધી : એક અહેવાલ    

                       
–જુગલકીશોર…………………………………………………….
 

[ ટેકનોલોજી ડેવલપમેન્ટ ઈન ઈન્ડીયન લેંગ્વેજીઝ (TDIL) તથા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાંસ કોમ્પ્યુટીંગ ( C-DAC)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સોફ્ટવેર ટુલ્સ અને ફોન્ટ્સની એક અતી  કીમતી સીડી આજે ગુજરાતના સ્થાપના દીવસે  ભારત સરકારના ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વીભાગ દ્વારા વીશ્વભરમાં વ્યાપેલા ગુજરાતીભાષીઓના રોજીંદા વ્યવહારો માટે સાવ ની:શુલ્ક રુપે રીલીઝ કરીને ગુજરાતી ભાષા-સાહીત્યક્ષેત્રે એક બહુઆયામી પ્રવૃત્તીને ગતી આપી હતી.....આ ઐતીહાસીક મુલ્ય ધરાવતી સભામાં હાજર રહેવાનો અલભ્ય અવસર મળવાથી એનો અહેવાલ લખવાનો લોભ જતો કરી શકાતો નથી !!  આપ સમક્ષ એને મુકતાં આનંદ-ગૌરવનો  અનુભવું છું.]

 

ગુજરાતી વીશ્વકોશ ટ્રસ્ટના ભવ્ય અને અત્યંત સુંદર  મકાનમાં જાણે વસંત ખુદ આવીને બેસી ગઈ હોય એવો ફુલોથી ગુંથ્યો-મઢ્યો હૉલ કોયલના ટહુકાની જ ખામી ધરાવતો હતો ! [એ ખામીય  જોકે તરત જ શરુ થઈ ચુકેલા વાદ્યવાદનને લીધે  પુરાઈ ગઈ હતી...] 

આવા સુંદર અને સુગંધી વાતાવરણમાં માત્ર નીમંત્રીત સભાજનોએ બરાબર સાંજના 3.45  વાગે પોતપોતાની બેઠક લઈ લીધી હતી. મહેમાનોએ પણ પોતાને મળેલા સમયનું બરાબર પાલન કરીને  બેઠકો લઈ લીધી હતી. સમયસર જ કહી શકાય એ રીતે સમારંભનો પ્રારંભ પ્રાર્થનાના શ્લોક તથા  ગુજરાત રાજ્યના સ્થાપના દીવસને અનુરુપ ‘જયજય ગરવી ગુજરાત’ના લાડીલા ગીતથી થયો. કહેવાની ભાગ્યે જ જરુર છે કે પત્રકારો અને કેમેરામેન વગેરેની બહુ જ મોટી સંખ્યાએ સૌના હ્રદયમાં આજના દીવસની મહત્તા અને થનારા કાર્યનું માહાત્મ્ય સ્થાપી દીધાં હતાં.

સ્વાગત પ્રવચનની સાથે જ જોઈન્ટ સેક્રેટરી તથા ફાઈનાન્સીઅલ એડવાઈઝર ઉપરાંત લેન્ગ્વેજ કોમ્પ્યુટીંગ ગ્રુપના ગ્રુપ કોઓર્ડીનેટર શ્રી ભારતભુષણજીએ કહ્યું કે ગુજરાતી ટુલ્સ અને ફોન્ટ્સની આ સીડી દેશમાં તાજેતરમાં જ પ્રગટ કરવામાં આવેલી અગીયારમી સીડી છે. અમારો આ કાર્ય પાછળનો હેતુ  આઈટીને લોકસમુદાય સુધી પહોંચાડીને એને લોકભોગ્ય અને વ્યવહારુ બનાવવાનો છે. આ સાધન એ હેતુ માટેનું હાથવગું અને શક્તીશાળી સાધન છે. દેશના ઉત્તમ વહીવટ માટે તે સરળ અને સફળ બની રહેશે. 

સી-ડેકના ડાયરેક્ટર જનરલ શ્રી એસ રામક્રીષ્ણનજીએ જણાવ્યું હતું કે  ભાષા અંગેની ટેકનોલોજી અત્યારે અત્યંત મહત્ત્વના સ્થાને છે. આજના વીકાસના માર્ગમાં એનું મહત્વ અત્યંત છે. લોકોના અનેકાનેક પ્રશ્નોના ઉકેલની દીશામાં પ્રાદેશીક  ભાષા અને એની  ટેકનોલોજીએ ઘણું મહત્ત્વનું કાર્ય કરવાનું હોઈ આજના આ કાર્યને એનું આગવું મહત્ત્વ છે. આજે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો આ ક્ષેત્રમાં આવી રહ્યાં છે, એમને માટે વ્યાપક અર્થમાં આનો ઉપયોગ કરવાનું જરુરી છે.

રાજ્યના સાયન્સ અને ટેકનોલોજીના સેક્રેટરી શ્રી રાજકુમારજીએ કહ્યું હતું કે આઠેક વરસ પહેલાંથી જ ગુજરાતે આ ક્ષેત્રમાં પદાર્પણ  કરીને આ મહત્ત્વના કાર્યનો આરંભ તો કરી જ દીધો હતો. પણ હવે  આ સોફ્ટવેર દ્વારા આપણે એક  વીરાટ પગલું મુકી  ચુક્યાં છીએ. એમણે આના સંદર્ભમાં સૌને યાદ દેવડાવ્યું હતું કે યુનાઈટેડ નેશન્સ દ્વારા આ વર્ષને આંતર રાષ્ટ્રીય ભાષાવર્ષ તરીકે જાહેર કર્યું છે.

કોમ્યુનીકેશન્સ અને ઈન્ફર્મેશન મીનીસ્ટ્રીના નીયામક શ્રીમતી સ્વર્ણ લતાજીએ ભાષાકીય ટેકનોલોજીના વીકાસમાં ટીડીઆઈએલ શું ભાગ ભજવી શકે એ અંગે વીગતપુર્ણ અને રસાળ શૈલીમાં વાત મુકી હતી.

કાર્યક્રમમાં થોડો ફેરફાર કરીને પ્રમુખશ્રીનું વક્તવ્ય આગળ કરાયું હોઈ સભાપતી શ્રી કુમારપાળ દેસાઈએ પોતાના મનનીય પ્રવચનમાં આ દેશની વીશેષ વાતો, અમેરીકામાં જઈને વીવેકાનંદ દ્વારા કહેવાઈ તેને  યાદ કરી હતી. ભાષાક્ષેત્રે પણ થયેલી આવી જ અનેક કામગીરીઓનો ઉલ્લેખ કરીને તેમણે દેશભરમાં સૌથી વધુ શબ્દોના ગુજરાતી વીશ્વકોશની વાત કહી હતી. ગુજરાતના અનેક સર્જકોને યાદ કરીને એમણે આપણા સાહીત્યની તથા ભાષાની બાબતો આગળ કરીને આજના ટેકનોલોજીના યુગને અનુરુપ આજે થઈ રહેલા કાર્યની મહત્તા સમજાવી હતી. 

આ દીશામાં ગુજરાતીભાષા દ્વારા વીશ્વભરના ગુજરાતીઓ માટે સતત અને સખત પરીશ્રમ લઈને  લેક્સીકોન જેવી વીરાટ કામગીરી કરનાર  શ્રી રતીભાઈ ચંદરયાને તેમણે આદરપુર્વક સંભાર્યા હતા. લેક્સીકોનની કામગીરીને સંક્ષેપમાં બતાવીને તેમણે વર્ષો પહેલાં થઈ ચુકેલી કામગીરીનું મુલ્ય સમજાવ્યું હતું. વીશ્વ સમસ્તના ગુજરાતીઓ માટે થયેલી એ કામગીરીને તેમણે યથાસમય અને યથાયોગ્ય રીતે મુકી હતી, જેનો પડઘો પછી શ્રી કુલકર્ણીજીના વક્તવ્યમાં પણ પડ્યો હતો  જેમાં આજના આધુનીક યુગને શોભે તેવું ભાષાકર્મ કરવા બદલ શ્રી રતીભાઈને જ નહીં પણ એમના જમણા હાથ સમા યુવાન ટેકનોક્રેટ શ્રી અશોક કરણિયાની અત્યંત કાબેલ કામગીરીનેય વખાણી હતી. 

પ્રેસદ્વારા સાંજે જ પ્રસીદ્ધી આપવાની હોઈ પ્રમુખશ્રી દ્વારા સીડીનો લોકાર્પણ વીધી પણ વ્યાખ્યાન બાદ તરત જ  કરવામાં આવ્યો હતો. 

આજના વીષયને અનુરુપ ખાસ બે વ્યક્તીઓનાં વ્યાખ્યાનો પણ  થયાં હતાં. જેમાં ગુજરાત ઈન્ફોર્મેટીક્સ લીમીટેડના ઈ-ગવર્નન્સના ડાયરેક્ટર શ્રી શ્રીમતી નીતા શાહે  રાજ્યના આ ક્ષેત્રના કાર્યોનો અહેવાલ અને આ દીશામાં હજી પણ જે કાંઈ જરુરી થશે તેનો આગોતરો ખ્યાલ રજુ કર્યો હતો. જ્યારે ગુજરાત યુનીવર્સીટીના ભાષાભવનનાં વડાં શ્રીમતી કીર્તીદા શાહ દ્વારા ભાષાકીય બાબતો રજુ કરવામાં આવી હતી. એમણે આવી રહેલા સમયમાં આ સીડી દ્વારા થનારા ક્રાંતીકારી કામનું સ્વાગત કર્યું હતું. જોકે એમણે તો ગુજરાતીમાં વ્યાખ્યાનો કેમ નથી થતાં અને માતૃભાષા તથા રાષ્ટ્રભાષાને બદલે અંગ્રેજીમાં જ થતાં હોય છે એ અંગે કટાક્ષ પણ કરી દીધો હતો ! 

C-DAC, GISTના પ્રોગ્રામ કોઓર્ડીનેટર શ્રી કુલકર્ણીજીએ સભાજનો સમક્ષ સીડીમાં ઉપલબ્ધ સેવાઓ સમજાવીને સીડીનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વીસ્તૃત સમજુતી આપી હતી તથા આભારદર્શન કર્યું હતું.

સભાના અંતે સૌ સભ્યોએ હળવા નાસ્તાને ન્યાય આપીને ગુજરાતીઓ માટેના આજના આ અતી મહત્ત્વના દીવસની ધન્યતા માણી હતી.

                        —===000===—

 

 

 

 

વીદ્યાપીઠમાં ફર્સ્ટ ક્લાસ સાથે એમ.એ. તો કર્યું પણ…..!

ચણીબોરની ખટમીઠી
જુગલકીશોર============================================

ગુજરાત વીદ્યાપીઠમાં પારંગત (એમ.એ.) કરવું એટલે શું અને એમાં કેટલી વીસે સો થાય એની સમજણ એમાં દાખલ થયાં કેડ્યે બહુ મોડી પડી. પણ જ્યારે પડી ત્યારે હાથમાં બાજી રહી ન હતી. ગમે એમ પણ બોળ્યું છે તો પછી ઘસી તો નાખવું જ પડશે એ નક્કી હતું એટલે કમર કસ્યા ઉપરાંત સાઈકલનાં પેડલને ય તેલ ઉંજવાનું, નવાં નવાં જ આવેલાં, ધર્મપત્નીને ભળાવીને આપણે તો વહેલી સવારે ખેતાળા મુકવા માંડ્યા ! બાપુનગરની અન્નપુર્ણા સોસાયટીથી  મારેલું પેડલ ગંધારી મીલ (અનીલ સ્ટાર્ચ), નુતનમીલ, વોરાના રોજા, કાળુપુર પુલ, દરીયાપુર દરવાજા, દીલ્હી દરવાજા, શાહપુર, ગાંધીબ્રીજ, ઈન્કમટેક્સ થઈને વીદ્યાપીઠ આવતાં આવતાંમાં તો ટાંટીયાની કઢી કરી મુકતું !

વીદ્યાપીઠમાં સવારની પ્રાર્થના અનીવાર્ય હતી. ત્યાં પગને આરામ  મળી જતો એટલે જ હશે કદાચ, પણ પ્રાર્થાના ગમતી ! ત્યાર પછી આવતું કાંતણ ! રેંટીયો છેક બાપુનગરથી લાવવાનું પોસાય નહીં એટલે છાત્રાલયના સહપાઠીઓ પાસે જ રહેવા દેતો. પણ પછી તો નવો પ્રયોગ વીચાર્યો. પ્રાધ્યાપકશ્રીને પુછ્યા વગર જ બાપુની તકલી વસાવી લીધેલી !! ગાંધીજીને કસ્તુરબાએ ગાયના દુધને બદલે બકરીના દુધે ચડાવવામાં મદદ કરેલી, એમ મને તકલી ઉપર ચડી જવાનું સુઝી આવ્યું ! અને પછી ઘણો સમય તકલી ઉપર સુતરના અસલી તાર  ખેંચવા માંડેલો. પ્રાધ્યાપકશ્રીઓને મારી દશાની ખબર હતી એટલે અને આમેય તકલીમાં કોઈ સૈધાંતીક વાંધો ન હતો. અને એમ મારું ભણવાનું ગાંઠાગળફા વીનાના સુતર જેવું સમુસુતરું ચાલ્યું…

ભાષાના અઘરા શબ્દો, અઘરી વાક્ય રચનાઓ, ભારેખમ વીષયો  અને અત્યંત ઝીણવટ માગી લેનારા વાચન વગેરેએ કસોટી તો કરવાનું ચાલુ  રાખ્યું જ હતું એવામાં એક દી’ દલપતરામ અંગેનું પ્રકરણ ચાલે. પ્રકરણ લાંબું હતું અને અનેક પુસ્તકો એના પર રીફર કરવાનાં હતાં. મારી પરીસ્થીતીથી વાકેફ મીત્ર પંકજ ભટ્ટે મને બે પુસ્તીકાઓ અને એક પુસ્તક આપીને કહ્યું કે આટલું થાય તો કરજે. મીલની નોકરી-સાઈકલીંગ-અને સંસારની વચ્ચે એ પુસ્તકો રીફર કરીને હું ચર્ચા-કસોટીમાં ભાગ લેવા તૈયાર  થયો.  બધા જ ટોપીક્સ પર એક ચર્ચા-કસોટી થતી અને ત્યાર બાદ એ જ ચર્ચાના આધારે લેખીત કસોટી થતી. તે દીવસે દલપતરામ વીષે બહુ જ ઉંડાણથી ચર્ચા ચાલી. મને એમાં ઝંપલાવવાનું મન થાય થાય ત્યં તો મારો મુદ્દો કોક બીજા જ બોલી નાખે !! હું રજુઆત કર્યા વગર રહી જાઉં. કનુભાઈ જાની મારા સામે જુએ પણ મારે કહેવાનો મુદ્દો બીજાએ મુકી દીધો હોય !

એવામાં કોઈએ કહ્યું કે દલપતરામની કવીતામાં કાવ્યત્ત્વના અભાવનું એક કારણ એમાં ચીત્રાત્મકતાનો અભાવ પણ છે ! અર્થાત્ એમની કવીતામાં ચીત્રાત્મકતા નથી ! મારાથી ન રહેવાયું ને મેં બોલી નાંખ્યું કે આ વાત બરાબર નથી ! એમનાં ઘણાં કાવ્યોમાં સુંદર ચીત્રો મળે છે ! સૌ મારી તરફ, જાણે કોઈ ભાંગરો વાટી નાખ્યો હોય એમ જોઈ રહ્યાં. મેં તો ‘દલપત ગ્રંથાવલી’માંથી ફટાફટ કેટલાંય ઉદાહરણો વાંચી બતાવ્યાં જેમાં ચોમાસામાં જોવા મળતા ઈન્દ્રગોપનું સુંદર ચીત્રણ આજેય યાદ આવે છે ! એક પછી એક અનેક ઉદાહરણોનો ઢગલો કરીને હું તો બેસી રહ્યો. સૌ સાંભળી રહ્યાં ને કનુભાઈએ મને પોરસાવી મુક્યો. પછી તો એમણે મને ચર્ચાની જગ્યાએ પ્રશ્નો જ સીધા પુછી પુછીને મારી કનેથી ઘણું બધું ઓકાવી નંખાવ્યું ! સૌને ખ્યાલ આવી ગયો કે મીલની નોકરી કરતો આ જણ જાણેય છે ને રજુય કરે છે.

એ દીવસે મને 10માંથી કદાચ 8 માર્ક મળી ગયા !!  અને એ જ દીવસથી હું આગળની લાઈનનો અધીકારી જાણે કે બની રહ્યો. પછી તો ભાષાવીજ્ઞાન જેવા અત્યંત અઘરા અને અટપટા વીષયમાંય  હું સૌથી વધુ માર્ક્સ મેળવવા માંડેલો. પણ દલપતરામ કે જે મારા પીતાજીના પ્રીય કવીઓમાંના એક હતા તેમને અંગેની ચર્ચામાં મને મળેલા માર્ક્સની વાત સાંજે ઘેર આવતાં વેંત જ બાપાને કરી ત્યારે એમણે મને ભેટવાનું જ બાકી રાખ્યું ! ( એ જમાનામાં જુવાન છોકરાને ભેટીને ખુશી વ્યક્ત કરાતી નહોતી)… પછી તો મારી સાઈકલનાં પૈડાં જાણે વગર પેડલે દોડતાં થયાં…એટલે સુધી કે બીજા વરસની ફાઈનલની પરીક્ષામાં હું મારા જુના અધ્યાપકોનેય પાછળ મુકીને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવીને ઉભો રહ્યો!! મારી જેટલા જ માર્ક્સ લઈને મારા જ એક અધ્યાપકશ્રી પણ મારી સાથે જ રહ્યા હતા, એટલે તેઓ પણ એ જ કક્ષાએ હતા.

પરંતુ જ્યારે એ પરીણામ આવ્યું ત્યારે એને વધાવવા બાપા હાજર ન હતા !! મૃત્યુ પછી આત્માને એ સમાચારો મળતા હોય છે એવી માન્યતાને આગળ કરીને બાપાના સુખની કેવળ કલ્પનાઓ જ કરતો રહ્યો…..હતો અને છું !!!
                                     —===0000===—

સાઈકલનાં પેડલ મારતાં મારતાં એમ.એ.ની તૈયારી !

ચણીબોરની ખટમીઠી : ( 7 )
–જુગલકીશોર===================================

સાઈકલ ઉપર એમ.એ.ના પાઠ !

1967માં ગુજરાત વીદ્યાપીઠમાં પારંગતનાં બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો ત્યારે સ્વપ્નેય ખ્યાલ ન હતો કે બાવળાની નોકરી છોડવાનો નીર્ણય એક જુગાર બની જશે. પારંગતના (એમ.એ.)ના અભ્યાસક્રમમાં ભાષા અને સાહીત્યનું ઉંડાણથી ખેડાણ કરવાનું હતું અને એમાં મારી ચાંચ ડુબાડવા માટે બહુ નાની અને નબળી પુરવાર થવાની હતી. ભાષા મને બહુ ગમતી હતી; વાચન સારું હતું અને બે-ચાર પદ્યજોડકણાં રચ્યાં હતાં એટલા માત્રથી મને એમ.એ.નો અભરખો હતો….

પણ જ્યારે વર્ગો શરુ થયા ત્યારે ખબર પડી કે મારી જ માતૃભાષા હોવા છતાં એ અંગ્રેજી કરતાંય  પહેલીવાર જ અઘરી લાગી ! વ્યાખ્યાનોમાં અધ્યાપક જે રજુ કરતા તે જાણે કોઈ અજાણી ભાષાની વાતો હોય, અજાણી કોઈ ભાષામાં વ્યક્ત થતું  હોય એવું જ લાગે ! માથામાં વાગે એવા ભારેખમ શબ્દોમાં મઢેલાં એ વ્યાખ્યાનો ઓછામાં ઓછાં છ મહીના સુધી તો મને ‘સમજાયાં’ જ નહોતાં !! એને પચાવવાની તો વાત જ ક્યાં હતી ?  (અધુરામાં પુરું મારા સહાધ્યાયીઓમાં મારા જ ત્રણ શીક્ષકો પણ સામેલ હતા !! મારા સીવાયનાં લગભગ બધાં જ વીદ્યાપીઠની હોસ્ટેલમાં રહીને ભણતાં હતાં જેમનું વાચન દીવસનું 10-12 કલાકનું રહેતું. ગુજરાતની સૌથી વીશાળ લાઈબ્રેરીનો 24 કલાક ઉપયોગ તેઓ કરી શકવાનાં હતાં.)

જ્યારે મારે તો આઠ કલાક મીલમાં નોકરી કરવાની હતી; સાઈકલ ઉપર બાપુનગરથી વીદ્યાપીઠ અને વીદ્યાપીઠથી વળતાં અસારવામાં આવેલી આર્યોદય જીનીંગ મીલ સુધીની મુસાફરી; નોકરી છુટ્યા બાદ અસારવાથી થાક્યાપાક્યા બાપુનગર - એમ દરરોજ ની 18-20 કી.મી.ની મુસાફરી કરવાની હતી. આ સીવાય પણ સેમી ક્લાર્ક તરીકેની નોકરી એટલે માનસીક યાતનાય ખરી. લગ્ન થઈ ચુક્યાં હતાં. વૃદ્ધ પીતાજી મારી આ તનતોડ-મનફોડ જીવનીને લાચાર બનીને જોયા કરતા ! ગામડામાંથી આવેલા જીવને શહેરનું આ જીવન અને એના આ મા વગરના દીકરાનું અશક્યવત્ જણાતું લક્ષ્ય સમજાતું નહીં.

મને મીલની નોકરીમાં રોજીંદા રુ. પાંચ લેખે માસીક રુ. 150 પગાર મળતો. એક જ દીવસની રજા પડી નથી ને પગારમાંથી પાંચીયું કપાયું નથી ! એ દીવસોમાં રુપીયો ગાડાના પૈડા જેવડો હતો.  શની-રવીની રજામાં રાતના બે વાગ્યા સુધીનું ભણવાનું ચાલતું. બાપા પણ સાથે જ જાગતા હોય. હું એમની પાસેથી જ શાસ્ત્રીય સંગીત અને છંદો શીખ્યો હતો. પોતે બહુ ભણેલા નહીં પણ હવેલીના મુખીયાજી તરીકે રાગ-રાગીણીઓ સમજે. ભજનો-ધોળ વગેરેને આધારે છંદોનું પણ સારું જ્ઞાન. એમનો આ સૌથી નાનો દીકરો ભાષામાં પારંગત થશે એની એમને બહુ કીમત હતી. હું પણ એમને કાવ્યમાંની અનેક ચીજો સંભળાવીને આનંદમાં રાખતો. અમે ઘણીવાર મારા હોમવર્કને બાજુ પર મુકીને સાહીત્યની રસખાણમાં ઉંડા ઉતરી જતા.

પણ એમને પરમ સંતોષ તો ત્યારે થયો કે જ્યારે મેં એમને મારી પ્રગતીના સમાચારો એક પછી એક આપવા માંડેલા ! છાત્રાલયમાં રહીને 12-12 કલાક અભ્યાસ કરતા મારાથી બધી રીતે મોટા સૌ સહાધ્યાયીઓને પછાડીને હું આગળ નીકળવા માંડેલો એ જાણીને એમની છાતી કેટલી ફુલતી હશે એ તો સૌ સૌની કલ્પનાનો જ વીષય રાખીને આજે તો  અહીં જ આને અટકાવું….

                                     —===0000===—

નકામાં લખાણો ભુંસનારું ડસ્ટર ક્યારેય ન ભુંસાયું !!

ચણીબોરની ખટમીઠી : 6                        –જુગલકીશોર.  

============================================================================ મા

મારા ડસ્ટર-પ્રયોગો !! 

શાળામાં શરુઆતના દીવસોમાં મને આચાર્યશ્રીએ પ્રાથમીક વીભાગમાં મુકીને પાંચમા ધોરણના વીદ્યાર્થીઓને નાગરીકશાસ્ત્ર ભણાવવાનું સોંપ્યું હતું. ખેતીના વીષયો ઉપલા ધોરણો 8 થી11ને મારે ભણાવવાના હતા પરંતુ થોડા સમય પુરતી આ સગવડ કરાઈ હતી.
પાંચમા ધોરણમાં આગળની લાઈનમાં એક બાંઠકો વીદ્યાર્થી ખુબ તોફાન કરે. ભાલ પંથકનું અસ્સલ લોહી. કદરુપો પણ તેજસ્વી. એની તેજસ્વીતા ભણવા કરતાં તોફાનોમાં વધુ પ્રગટ કરીને એ મારી તેજસ્વીતાને અને સાત્ત્વીકતાને પડકાર્યા કરતો !
એનો પડકાર મારા માટે પડકાર જ બની રહેતો. મોટાભાગે એ જ જીતી જતો ! હું મારું લોકભારતીનું શીક્ષણ, મારા સંસ્કારો, મને મળેલી નઈતાલીમની દીક્ષા - એ બધુંય ભુલી જઈને, હાથવગું હથીયાર ડસ્ટર લઈને ફરી વળતો. અસલ ઘી, ભાલના ઘઉં અને ભાગ્યે જ જોવા-ખાવા મળે એવા અસલ ચોખાનો ખોરાક પચાવીને એ આવતો હતો. મારું ડસ્ટર એને ક્યારેય રડાવી શક્યું નહીં. એને પરાજીત પણ કરી શક્યું નહીં. કદરુપું મોઢું કટાણું કરીને એ વધુ કુરુપ બની મને જોઈ રહેતો. એને ડસ્ટર મારતી વખતે મનેય હૈયામાં એ વાગતું. હું મનેય ઘણો કદરુપો લાગતો. પણ…

કાળા પાટીયા પરનાં  વધારાનાં અને નકામાં લખાણો ભુંસવા માટેનું એ ડસ્ટર, એ છોકરાનાં લખ્ખણો (લક્ષણો) તો ન ભુંસી શક્યું પણ મારા સમગ્ર વ્યાવસાયીક જીવનનાં વર્ષો દરમ્યાન ક્યારેય ન ભુંસાયેલા એ ડસ્ટરે, વળગવાની સંભાવનાવાળાં ઘણાં અપલખણોને, આવતાં પહેલાં અટકાવવાની મોટી મદદ કરી. એ છોકરાને મારતી વખતે ડસ્ટર ધારણ કરેલા મારા હાથની તાડનમુદ્રામાં મારા ક્રુર રાક્ષસત્વે મને એ છોકરા કરતાંય વધુ કદરુપો બનાવી મુક્યાનો અહેસાસ મને સદાય થતો રહ્યો.  

હું ખુબ સારો શીક્ષક, કાર્યકર કે અધીકારી બની શક્યો કે કેમ એનું મુલ્યાંકન કરવું અઘરું છે પણ માર ખાતા એ છોકરાએ માર ખાઈનેય મને ઘણું શીખવાડ્યું છે. એનો ગણ હું ક્યારેય ભુલી ન શક્યો. મારામાં ક્યાંય પણ, ક્યારેય પણ જે કાંઈ સારપ દેખાઈ, તેમાં આ સૌનું ઋણ ન ફેડી શકાય તેવું ને તેટલું મારા પાટીયા પર ચીતરાયેલું અને એટલે જ સદાય સ્વીકારાયેલું રહ્યું છે. જીવનની પ્રથમ જ નોકરી માટે જેલમાં જવાનું મેં ભલે મુલતવી રાખ્યું પણ મારો માર ખાઈનેય  જીતી જનારા એ છોકરાઓનો હું કેદી બની રહ્યો. વળતે પગલે એ સૌને આજીવન મારે હૈયે કેદ રાખીને હું યથાશક્તી તેમનું ઋણ ચુકવવા પ્રામાણીકપણે મથતો રહ્યો……
==================================================================
[ મીલમાં કાપડની જાહેરાત કરતાં કરતાં એમ.એ. કર્યું....હવે પછી ]

સગવડો માણસને સુંવાળો બનાવી શકે છે !

ચણીબોરની ખટમીઠી : 5

–જુગલકીશોર.
===============================================================

ખેતીના શીક્ષકને ખેતીવાડી-ફાર્મ ઉપર રહેવાનું મળે તો તે તો કંસારમાં ઘી ગણાય. પણ બાઘાઈવીભુષીત મારા જેવા માટે એ કાંઈ અગાઉથી આયોજીત નહોતું. આ તો ઓચીંતાં આવી ચડેલા / પડેલા [કૃષી વીષયના ફર્સ્ટ ક્લાસ સ્નાતક  પરંતુ જીવન વ્યવહારે પુર્વ પ્રાથમીક કક્ષાના વીદ્યાર્થીશા]નવા શીક્ષકને વખારે નાખવા સીવાય તાત્કાલીક તો કોઈ ઉપાય જ નહોતો. તેથી ચોમાસામાં ઢોર બાંધવાના એક ઉંચા છાપરાવાળા મસમોટા બંધ ઓરડામાં મારો સામાન મુકીને તત્પુરતી રાહત આપવામાં આવી. બળદ-છપ્પર જેવા એ મોટા પાકા મકાનને બારણાં ને બદલે લોખંડનો તોતીંગ દરવાજો હોઈ રાહત છાવણી જેવુંય એ લાગતું નહોતું !

વરસાદને હજી વાર હતી. એટલે ઢોરોને પણ મારા આવ્યાથી બહાર રહેવામાં વાંધો નહોતો. [ઢોરોને પણ કાંઈ યુનીયન જેવું નહોતું, નહીંતર એમનું સ્થાન પચાવી પાડવા બદલ મારી સામે આંદોલન કરી શકત.] ત્યાંના કર્મચારીએ મોટા સાવરણાથી પોદળા વગેરે મોટા મોટા પદાર્થોને દુર કર્યા. ઉંઘ મારી બહુ સારી; તેથી ચાંચડ-ઈતરડીઓ વગેરેનો સહવાસ ને તેની સીધી અસરો મને જણાઈ નહીં. ને એમ પંદરેક દીવસો મેં મારા ગૃહસ્થીજીવનના ઉદ્ઘાટન રુપે સૌ જીવો વચ્ચે ઉજવ્યા !!

પ્રતીકુળતાઓની ફરીયાદ તો કોરાણે રહી, મનોમન પણ એ સ્થીતીને સાવ સહજતાથી ભોગવી લીધાંનું મને યાદ છે. પ્રતીકુળતા જે જાતે જ ઉભી કરીને વહોરી લીધી હોય તેનું દુ:ખ તો ક્યાં ગાઈએ ? પણ બાહરી તત્ત્વો દ્વારા આવી હોય તો પણ એને સખે દખે ભોગવી લેવાનું વલણ જીવનભર રહ્યું છે.  બલ્કે આગળ જતાં જે વીશેષ સગવડો મળી  એ પણ ક્યારેય ‘મોભા’નો મુદ્દો ન બની શકી. કેન્દ્ર સરકારની યોજનામાં ચોવીસ વરસ દરમીયાન મોટર મળી, પ્રવાસમાં વીમાન-મુસાફરી પણ ઉપલબ્ધ બની છતાં એને ભાગ્યે જ ભોગવી. છેલ્લાં વરસોને બાદ કરતાં રેલવે મુસાફરી પણ સેકન્ડક્લાસમાં જ સાવ સહજતાથી કરી. સગવડો ક્યારેય મને સુંવાળો બનાવી ન શકી, એ વાતનું સુખ આજ સુધી અનુભવ્યાં કર્યું છે…..

જેલમાં જવાનું બંધ રાખીને બાવળા એ.કે.વીદ્યામંદીરમાં ખેતીશીક્ષક તરીકે જોડાયો. ત્યાં ફક્ત 365 દીવસ જ રહ્યો. પણ આ  શાળામાં હું મારાજીવનમાં સૌથી વધુ સંકોચ સાથે રહ્યો. વંદો જેમ અજવાળાંથી ભાગીને અંધારું ઓઢવા દોડે એમ હું જાહેર થવાથી ભાગતો રહ્યો. લોકભારતીમાં મારી પદ્યકૃતીઓથી મુશાયરાઓ અને સભાઓ ગજવનારો હું બાવળામાં લગભગ ખુણો પાળીને રહ્યો. શીક્ષકરુમમાં મેં ભાગ્યે જ ચર્ચા કરી. મારામાં આવડતનો અભાવ નહોતો જ. વીદ્યાર્થીઓમાં પણ હું પ્રીય હતો . તોફાની છોકરાઓ મારા વર્ગોમાં ડાહ્યા બનીને ભણતા. વડીલ શીક્ષકો પણ મને માનથી જોતા.

પણ આ જ સ્કુલ મને ખાસ યાદ રહેશેતો તે વર્ષના આરંભના દીવસોમાં મને મળેલા પ્રાથમીક શીક્ષણના વર્ગોમા નાગરીકશાસ્ત્રના પાઠો ભણાવતાં ભણાવતાં તોફાની છોકરાઓ ઉપર મેં કરેલા ‘ડસ્ટર પ્રયોગો’ ને કારણે !!
—————————————————————
મારા એ ડસ્ટર-પ્રયોગોની વાત હવે પછી !

બળદ-છપ્પરમાં જીવનનો પ્રથમ મુકામ !!

એક ચણીબોરની ખટમીઠી - 4
==================

–જુગલકીશોર.
***************************************************************

હાઈસ્કુલમાં નોકરી કરી જાણી !!

[એક સ્પષ્ટતા ફરીવાર. આ લખાણોમાં મારા પોતાના શીક્ષણક્ષેત્રના અનુભવો છે. મારી સંસ્થાએ જ એ પબ્લીશ કર્યા હતા - આ જ શીર્ષકથી.  એનું મહત્ત્વ એથી વધુ કાંઈ નથી. પણ લોકભારતી જેવી સંસ્થાએ એને પ્રકાશીત કર્યા હોઈ શૈક્ષણીક રીતે એનું મહત્ત્વ છે જ. અને એટલે જ જે કોઈને પણ રસ પડશે તેનો આનંદ મને શીક્ષક તરીકે વીશેષ હશે.]

પાણી જેમ ઢાળમાં દડી જાય છે તેમ સપાટી પણ શોધી લે છે. મને બાવળા હાઈસ્કુલ માટે રોજગાર કચેરીએ જ જેલના ઈન્ટર્વ્યુ પછી ટુંકાગાળામાં જ બીજો પત્ર મોકલી આપ્યો ! પણ એય કરામત કરીને ! એ મને મળ્યો બાવળામાં ઈન્ટર્વ્યુ પતી ગયા પછી ! મને થયું કે આ રોજગારવાળાઓ કેવા છે, બોલાવે છે તેય જાણે મશ્કરી કરતા હોય એમ ! મોકલ્યો તો જેલમાં મોકલ્યો, ને એમાં હાજર ન થયો એટલે બીજો પત્ર આમ મોડો મોકલીને મઝાક કરવાની ?!

વડીલોએ સલાહ આપી કે સ્કુલ ખુબ સારી છે અને આચાર્યશ્રી સીદ્ધાંતવાદી છે એટલે તમારી તકલીફ સમજીને જ આગળ વધશે એટલે જજો તો ખરા જ. હું તો આશા નહોતી છતાં ગયો. એમણે મને આવકાર્યો. મુળશંકરભાઈ, બુચભાઈ અને મનુભાઈ વીષે એમણે વાતો કર્યાં કરી. મને થયું કે સાહેબ મને ટાળવા માટે આમ અંગત અને સંસ્થાની વાતો કરીને રવાના કરી રહ્યા છે ! પણ મારામાં બીરાજમાન તાજા જ સ્નાતકને એય ભાન ન હતું કે એ બધી વાતો નહોતી. એમણે ત્રણેય મહાનુભાવોએ ગુજરાતને જ નહીં ભારતભરના શીક્ષણજગતને આપેલા બહુમુલ્ય  ફાળાની અને એમાંથી હું કેટલું સમજ્યો છું એની ચકાસણી કરી રહ્યા હતા !! હું તો મારા આ પ્રાત:સ્મરણીય ગુરુજનો  વીષે મનભરીને બોલતો ગયો. એ મારી વાતોમાંથી આચાર્યશ્રીએ  મારામાં રોપાયેલા ને હવે પાંગરી રહેલા શીક્ષણ-સંસ્કારો જોઈ-નાણી લીધા હશે.

લોકભારતીની ને નાનાભાઈની શૈક્ષણીક વાતો જેમાં કરવાની હોય એવા ઈન્ટર્વ્યુમાં તો હું ધારું તોય નાપાસ થાઉં નહીં ! ને…ન જ થયો. “ઉઘડતી શાળાએ હાજર થઈ જાવ.” એવા એકાદા વાક્યમાં જ આચાર્યશ્રીએ ઈન્ટર્વ્યુનું પરીણામ અને નીમણુંક પત્ર મને પકડાવી દીધાં ! હું જાણે ઉડીને પાછો મારી જ લોકભારતીમાં આવવાનો હોઉં એમ ઉત્સાહભેર મને જ વળગી પડ્યો !

જીવનની પ્રથમ નોકરી કરવા માટેનું નીમંત્રણ લઈને હું બાવળાથી,આમ તો બસ દ્વારા છતાં ઉત્સાહની નવી ઉગેલી પાંખો વડે ઉડતો જ અમદાવાદ પહોંચ્યો. પરંતુ વૅકેશન દરમીયાન બાવળા જઈને મકાન વગેરેની વ્યવસ્થા અગાઉથી કરી લેવી ઘટે એવી સામાન્ય સુઝ પણ [નવી ઉગેલી પાંખો ઢીલી પડ્યા પછી પણ ] ન ઉગી ! ખુલતાં વૅકેશને, મારા માટે સ્કુલ તરફથી મકાન વગેરે બધું જ તૈયાર હોય જાણે એમ, સીધો જ હાજર થયો ! સાથે એક બીસ્તરો અને બેચાર જોડ કપડાં માટેની  નાનકડી પેટી એટલું જ હતું. આરંભમાં જ જે ઉગી જવી જોઈતી હતી તે સુઝના અભાવને હું ‘બાઘાઈ’ શબ્દથી ઓળખાવીને કહું તો બેગ-બીસ્તરા સાથે તે પણ હતી ! એટલે આચાર્યશ્રીએ બેગ-બીસ્તરા-બાઘાઈ સહીતનો મને શાળાની ખેતીના ફાર્મ ઉપર મોકલી આપ્યો - રહેવાની સગવડ કરી આપવાની ભલામણ-ચીઠ્ઠી સહીત !!

[ખેતીના ફાર્મ ઉપર આ ખેતીશીક્ષકને રહેવાનું પણ બળદોના છાપરામાં હશે એવી તો કલ્પનાય કોને હોય ?! પણ આ બાઘાઈ-વીભુષીત શીક્ષક માટે ચાંચડ-મચ્છરના સાન્નીધ્યે રહેવાનું યોગ્ય રીતે જ ગોઠવાયું હતું......!! ]

                              —-====000====—-

જેલની નોકરી ન કરી.

***************************************************************
એક ચણીબોરની ખટમીઠી : 3

***************************************************************
જેલમાં ન ગયો !!

અમદાવાદમાં મારાથી મોટા - વચેટ ભાઈ, એક કાપડની મીલમાં ક્લાર્ક હતા. લોકભારતીનો અભ્યાસ પુરો કર્યા બાદ તેમની પાસે વેકેશનમાં હતો. ત્યાં ઓચીંતાં જ રોજગાર કચેરી મારફતે મને એક પત્ર દ્વારા જેલ માટે તેડું આવ્યું ! કેદી તરીકે નહીં પણ નોકરી માટે. એમને ખેતીવાડી અધીકારીની જરુર હતી. હું અધીકારી, અને તેય પાછો ખેતીવાડીમાં ?! થયું કે જીંદગીની પહેલી જ નોકરી આમ ‘સળીયા પાછળ’ કરવાની આવી ?! ભલે, એય શું ખોટું છે ! કેદીઓને હું કે એઓ મને, એમ પરસ્પર એકબીજાને કંઈકેય ઉપયોગી થઈ શકીએ તો શું ખોટું છે ?!

ઈન્ટરર્વ્યુમાં કોણ જાણે શુંય જવાબો આપ્યા હશે, ખબર નથી. કેદીઓ પાસેથી કામ લઈ શકું એ પ્રકારની કોઈ છાપ પાડી શકું એવું વ્યક્તીત્વ કે શારીરીક દેખાવ હું ધરાવતો ન હતો. છતાં શી ખબર, એમણે મને પાસ કરીને ફીઝીકલ ફીટનેસ  માટે સીવીલ હોસ્પીટલ અને જેલઓફીસ વચ્ચે ધક્કા ખાતો કરી દીધો. એમાંય વળી કેદીઓના નસીબે (!) પાસ થઈ ગયો.

પણ મારા નસીબે કેદીઓ નહીં. એટલે એ ધક્કાપીરીયડ દરમીયાન જ કોઈ અગમ્ય કે અદમ્ય ગુંગળામણને લીધે, હું મારી જાતને ‘ફીઝીકલી ફીટ’ હોવા છતાં મેન્ટલી અનફીટ ગણી ત્યાં હાજર ન થયો. ને એ રીતે મારી લોકભારતીએ મારા દ્વારા કેદીઓ સાથે ‘જેલની ખેતી’ કરવાની તક ગુમાવી દીધી. જોકે લોકભારતીના જ એક વીદ્યાર્થી ભાઈએ અહીં ઉંચા હોદ્દા પર રહીને ઘણું સારું કાર્ય કર્યું હોઈ સંસ્થાએ તો કશું ગુમાવ્યું નથી. મેં જ એ “લોહકપાટ”માંના એ ‘કાળીભોંયના પડછાયા’ઓનો સહવાસ ગુમાવ્યો ! મારા આ કમનસીબની જાણ તીવ્રતા પુર્વક ત્યારે થઈ જ્યારે મેં બંગાળીના મોટા લેખક જરાસંઘની નવલકથા ‘લૌહકપાટ’નું ગુજરાતી રુપાંતર “ઉજળા પડછાયા કાળી ભોંય” વાંચી !! આ નવલકથા વાંચીને મહીનાઓ સુધી હું ગમગીન રહ્યો હતો. જેલની દીવાલો પાછળ ધબકતા જીવનની ઉત્કૃષ્ઠ કથાઓને કંડારાયેલી જાણીને હું અભીભુત થઈ રહ્યો. આ નવલને ગુજરાતીમાં ઉતારીને મુ.ન.પારેખ બહુ મોટો ઉપકાર કરી ગયા છે.

એવી એ દુનીયામાં કામ ન સ્વીકાર્યાનો વસવસો કંઈક હળવો કર્યો મારા જ બે વીદ્યાર્થીઓએ,  જેમણે જેલના  ઉચ્ચ હોદ્દા પર રહીને સેવા કરી.
*********************************************************************
 હાઈસ્કુલમાંના મારા ડસ્ટર-પ્રયોગોની ખટમીઠી હવે પછી. 
                          —===00000===—

શીક્ષણનાં શીખર સમા શીક્ષકોને ખોળે !!

**************************************************
એક ચણીબોરની ખટમીઠી : 2    –જુગલકીશોર.
**************************************************

લોકભારતીમાં આવતાં પહેલાં…
—————————————
હું શાપુર [સોરઠ]ની લોકશાળામાં 6 વર્ષ ભણીને પછી લો.ભા. ગયેલો. 1955થી ‘60 નાં છ વર્ષ જુનાગઢની સાવ પાસેના નાના કસબામાં રતુભાઈ અદાણીએ સ્થાપેલી અને અકબરભાઈ નાગોરીના સંચાલનમાં ચાલતી આ લોકશાળાના અધ્યાપકો બહુ સારા અને મીલનસાર તથા ઉત્તમ શીક્ષકો હતા. ઈસ્માઈલભાઈ નાગોરી પણ ત્યાં અવારનવાર આવતા. મદીનાબહેન નાગોરી પણ અમારા સૌ માટે એક માતૃત્વ જ સાક્ષાત્ હતું.

પ્રથમ કક્ષાની તો ન કહી શકાય તેવી એ લોકશાળામાં, ગમે તેવી પરીસ્થીતીમાં ટટ્ટાર રહેવાનું બળ મળવા ઉપરાંત અનેક નબળાઈઓ પણ મળી રહે એવી શક્યતાઓ ત્યાં ભરી પડેલી રહેતી. એમાંની પ્રમાણમાં બહુ જ ઓછી મને વળગેલી. એટલે હું વધુ આત્મીયતાથી લોકભારતીનું ધાવણ લઈ શક્યો.

વળી, મારા કુટુંબમાં, મારાં ફોઈના દીકરા વનમાળીભાઈ વ્યાસ ઉમરાળા પંથકના ગાંધી ગણાતા. મને એમની ગળથુથી મળેલી. જ્ઞાનમાર્ગી પીતા,અને ભક્તીથી તરબોળ માતાના હવેલીના સંસ્કારો વચ્ચે એ ‘મોટાભાઈ’ના સીંચેલા ગાંધીસંસ્કારો મારી મોંઘી મુડી હતા.

આટલા વારસાગત અને વાતાવરણીય સંસ્કારો લઈને હું લો.ભા.માં દાખલ થયેલો. આર્થીક અગવડોનો તો કોઈ પાર ન હતો. ભણી શકાય એમ જ નહોતું ! એટલે દીલ્હીથી મળતી વાર્ષીક ફક્ત રુ. 240/- ની શીષ્યવૃત્તી [સ્કોલરશીપ]ના લોભથી હું મને ગમતા લોકશીક્ષણ [આર્ટ્સ]માં ભણવાની તક જતી કરીને કૃષીમાં દાખલ થયો !!
બાકી ઉમરાળાની વૈષ્ણવોની હવેલીના મુખ્યાજીનો દીકરો હું, પીતા પાસેથી હવેલી સંગીતના શાસ્ત્રીય રાગો અને પીંગળના છંદો પીને મોટો થયેલો. બાપગોતરમાં ખેતરવાડીએ જોતરાવાની ગણતરી હતી જ નહીં. ગોરબાપાને ઘેર દક્ષીણારુપે આવી મળતાં લીલાં શાકભાજીમાં; વાઢ [સીંચોડો]ફરતો હોય તયેં આવી મળતા ઉના ઉના ગોળ અને શેરડીના રસમાં અને આગળ જતાં ગામડાનાં અમારે ઘરે રાખેલી ગાય-બકરી માટે વીના મુલ્યે આવતા રજકા-ગદબ- કે છાસટીયામાં કે ક્યારેક ગોરનાં છોકરાંવને પોંક ને પોપટા ખાવા સારુ જોવા મળતાં વાડી ખેતરોમાં જ ફક્ત મારું કૃષીજગત સમાયેલું હતું.
ઉંબર બહાર પગ મુકતાં…
એવો હું 1962-’65ના ચાર વરહ ભણેલા સ્નાતકો [ગ્રેજ્યુએટ]માંનો એક, કૃષીના વીષયો સાથે ભણીને બહાર પડ્યો ત્યારે કોઈ ‘ખેતર’  [ક્ષેત્ર] મારી રાહ જોઈને મને નોકરી આપી દેવા બેઠું ન હતું. જીવનની ખેતી જ્યાં થવાની છે તે લીલી વાડી હશે કે સુકું ખેતર હશે કે પછી નર્યું રણ હશે, તેનો કોઈ કરતાં કોઈ અણસારો હતો નહીં. ભણતાં ભણતાં જીવનનીર્વાહ માટે લાંબી ડોક કરીને નોકરી શોધતાં રહેવું પડે એવું નહોતું. કે પછી ભણતર દરમીયાન જે પ્રકારનું આંતરબાહ્ય ‘ખેડાણ’ થઈ રહ્યું હતું તેમાં નોકરી માટે ખાંખાખોળા કરતાં રહેવાનુંય અભીપ્રેત નહોતું. પરીણામે સ્નાતક થઈને લો.ભા.ના ઉંબરાની બહાર પગ મુક્યો ત્યારે “ઉપર આભ અને નીચે ધરતી” જેવો ઘાટ હતો. પહેર્યાંનાં બે-ત્રણ જોડી કપડાં ને હાથમાં કૃષીસ્નાતકનું સર્ટીફીકેટ સીવાય ઝાઝા કોઈ શણગારેય નહોતા. કોઈ મોટી લાગવગ એનો કારહો કરવાની નહોતી કે ન હતી કોઈ ચમત્કારીક નસીબવાળી માન્યતા પણ.

જે કાંઈ હતું તેમાં માતા-પીતા અને કુટુંબના સંસ્કારોનો વારસો; ઉજળવાવવાળા શુદ્ધ ગાંધીવાદી ‘મોટાભાઈ’એ નાનપણમાં ટોયેલી ગળથુથી; શાપુર સર્વોદય આશ્રમની લોકશાળામાં ભરપુર પીધેલું જીવનનું કઠણ પ્રાથમીક શીક્ષણ અને સૌથી વીશેષ તો જેમને ક્યારેય જોયા નથી છતાં જેમનાથી ક્યારેય અળગા થઈ શકાયું નથી એ નાનાભાઈ ભટ્ટ અને તેમના સાથીઓ આદરણીય મુળશંકરભાઈ [મુ.મો.ભટ્ટ], પ્રાત:સ્મરણીય બુચદાદા [ન.પ્ર.બુચ],શ્રી રતીભાઈ અંધારીયા અને જ્યારે પણ યાદ આવે ત્યારે હૈયે ધસી આવનારા સૌ ગુરુજનો તથા એકીસાથે સાહીત્ય,શીક્ષણ અને સર્વોદય જેવા અનેક ક્ષેત્રના અશ્વોના અસવાર એવા તેજપુંજ મનુભાઈ પંચોળી ‘દર્શક’ — આ 
બધાનો સમાવેશ મારા ભાથામાં હોવાની ધરપતને  સ્પર્શું છું તો આર્થીક નબળાઈને બાદ કરતાં કોઈ જ ઓછપ નહોતી. બલકે લોકભારતીના ઉંબર બહાર પગ મુકતાંકને જાણે હું તો આ બધી અમીરાતે જ છલકાતો  હતો !!

                                 —-====000====—-

મારામાં રહેલો માસ્તર.

એક ચણીબોરની ખટમીઠી–1
*************************************************************************************
[મારી માતૃસંસ્થા લોકભારતીએ કેટલાંક નીવડેલા વીદ્યાર્થીઓને પોતાના કાર્યક્ષેત્રના અનુભવો લખીને આપવાનું જણાવીને સંસ્થાએ પોતે જ એને "ઝાડનાં પારખાં ફળ પરથી" નામક અનુભવોની શ્રેણી પ્રગટ કરી હતી. મને પણ લખવાનો આદેશ મળતાં મેં મારા અનુભવો ઉપરોક્ત શીર્ષકથી  મોકલ્યા હતા. આ એ પુસ્તીકામાંથી તારવેલા કેટલાક પ્રસંગો છે.]                                                                                        –જુગલકીશોર.
**************************************************************************************
1]  લોકભારતી સણોસરાના વાતાવરણ-શીક્ષણનો વારસો લઈને…
—————————————————————————–
મને ગમતાં ફળોમાં ચણીબોરનું સ્થાન ઘણું ઉંચું છે. દેશી બોરડી પર થોડાં પાકેલાં સહેજ પણ કરચલી વીનાનાં એ બોર પ્રત્યે મને પહેલેથી - ખાસ કરીને લોકભારતીનાં ખેતરોના અનુભવે - આકર્ષણ ! લોકભારતીનાં ફરજંદો-ફળોમાંનાં એક તરીકે હુંય એનું ફળ ખરો. પણ બીજાં જાણીતાં અને માનીતાં ફળોમાં હું મારી ગણતરી કરતો નથી.

લોકભારતીને યાદ કરતાં જ મારા જેવાને સૌથી પ્રથમ જે વૃક્ષ દેખાય તે તો દક્ષીણામુર્તી દેવ જેની છાયામાં બેઠેલા છે તે વટવૃક્ષ. આ વૃક્ષ તો અમારી લોકભારતી-દક્ષીણામુર્તીની જ સાક્ષાત્ પ્રતીમુર્તી જેવું છે. એ સીવાય અમારા વખતમાં (1962થી ‘65) લોકભારતીના પ્રવેશદ્વારથી ડાબી બાજુ આંબાનું જે મોટું વન હતું તે; રાજેન્દ્ર ટેકરી જતાં આવતું ચીકુનું વન અને પ્રવેશદ્વારથી સભાખંડ સુધીની નાળીયેરીઓ; છાત્રાલયોની આસપાસ જોવા મળતાં શીરીષ-લીમડા-આસોપાલવ અને વીશેષ કરીને એનાં પત્રો-પુષ્પોથી શોભતાં બુચ-વૃક્ષો…આમાંનાં કેટલાંક તો ફળ વીનાનાંય ખરાં, જેઓ ફળાઉ ન હોવા છતાં પોતાના અસ્તીત્વ માત્રથી લોકભારતીનું પ્રતીનીધીત્વ કરતાં રહેતાં હોય !

ઘણાં કારણોથી હું મને, મારી જાતને, મોટાં ફળોના ઢગલામાં બેસાડતો નથી. લોકભારતીનું ફરજંદ હોવા છતાં હું તો મને સ્નાનઘાટની પાછળના ભાગેથી ઠેઠ રાજેન્દ્ર ટેકરી સુધીનાં ખેતરોમાં વીખેરાઈ પડેલી દેશી બોરડીનું ખટમીઠું ચણીબોર જ ગણાવતો રહ્યો છું.

આમેય ત્યાંના અભ્યાસકાળ દરમીયાન પ્રાર્થના, સ્નાન, ભોજન, વાચન-અધ્યયન અને શયન જેવા પ્રીય વીષયોની જેમ જ, ગમે તેવી પ્રવૃત્તીમાંથીય છટકી જઈને કે તક મેળવી લઈને, બોરડી કને પહોંચી જઈને, એના લગભગ પાકી ગયેલા કે પાકી રહેલા રતુમડા ટબા ગોતી ગોતીને મોંમાં ઓરવાનું મને અતી પ્રીય હતું.

એક અન્ય કારણ પણ છે. ગુજરાતી વીષય સાથે પ્રથમ કક્ષામાં અનુસ્નાતક (એમ.એ.)થયો હોવા છતાં અસ્સલ તો હું લો.ભા.નો કૃષીસ્નાતક ! 1966થી 2002 સુધીનાં 36 વર્ષોમાંનાં મોટાંભાગનાં વર્ષો અમદાવાદમાં ગાળવા છતાં હું ગામડીયો જ વધુ ગણાતો રહ્યો. મારા એવા, કંઈક અંશે બરછટ કહી શકાય તેવા વ્યવહારો થકી હું બોરડીના ફળ જેવો જણાયો કે ગણાયો હોઉં તો કશી નવાઈ નથી !!

એક કારણ ચણીબોર ગણાવા પાછળનું એ પણ ખરું કે લો.ભા.નું શીક્ષણ પામીને મેં ગામડાંની સેવા કરી નથી એવું મને હંમેશાં લાગ્યાં કર્યું છે. એક વરસ બાવળા હાઈસ્કુલમાં ગામડેથી આવતાં વીદ્યાર્થીઓને ભણાવ્યાં તે; એક વરસ ઈડર કોલેજમાં લેક્ચરરી કરતાં કરતાં ઈડર પંથનાં ડુંગરાળ યુવાનોને લો.ભા.નો સ્પર્શ કંઈક આપી શક્યો તે અને સીદ્ધપુર પાસેના સમોડા ગામની ગ્રામ વીદ્યાપીઠમાં ત્રણ વર્ષ રહીને યથા શક્તી-મતી લો.ભા.નું ધાવણ ગ્રામીણ વીદ્યાર્થીઓમાં વહેંચી શક્યો તે જ બસ. તેને બાદ કરતાં બાકીનાં સાડા ત્રણ વર્ષ અમદાવાદની એક કાપડમીલમાં સેમી ક્લાર્ક તરીકે ; ગાંધીજીએ સ્થાપેલ મજુર મહાજન સંઘમાં સાડા ત્રણ વર્ષ મજુર-શીક્ષણના ઈન્ચાર્જ તરીકે તથા છેલ્લે ભારત સરકાર પ્રસ્થાપીત અને ગુજરાત યુનીવર્સીટી સંચાલીત ‘શ્રમીક વીદ્યાપીઠ’ (હવે ‘જનશીક્ષણ સંસ્થાન’)માં પ્રોગ્રામ ઓફીસર તરીકે(12 વર્ષ)અને ત્યાં જ ડીરેક્ટર તરીકે (12 વર્ષ)–મેં શહેરમાં જ પસાર કર્યાં હોઈ, લોકભારતીના આદેશ મુજબનું ગામડાંનું ખુબ અગત્યનું, અઘરું અને ખરબચડું એવું કામ કરવાને બદલે શહેરનું સુંવાળું જીવન પસંદ કરવા બદલ મેં લો.ભા.નાં કીમતી ફળોના ઢગલાની બહાર બેસવાનું વલણ અપનાવ્યું છે. શહેરી જીવનમાં આ બાબત મને સદાય ખુંચતી રહી છે.  

                    —===000===—

કંકણ કોમળ કોમળ રણકે !!

મોસમ ગીત  

                                                                                                                                 જયંતીલાલ દવે.

ઓરાયેલી વાદળીઓ અવ મોલ  બની શી ઝુલે,
છાંટો પડતાં લીલપની જેમ માનવનાં મન ખુલે !

નભનાં  જાણે  પાન  પંખીડાં   એમ હવામાં ફરકે,
ખેતર  મધ્યે  ઉભો  ચાડીયો શો ય મુછમાં મલકે !

જ્યોત્સ્ના  નીજના    ઉરોજમાંથી  ડુંડે  ધાવણ પુરે,
સીમ  સુંદરી   સેંથે    શશીયર  મોતીમાળા    ગુંથે.

અવની  કેરું   ઉર   હવામાં   ડાંગર    થઈને  ડોલે.
પરસેવાનો    બોજ   ખેડુઓ   હવે   ખળામાં   તોલે.

ભથવારીના    હોઠે   પોરસ   સીમ   ભરીને   છલકે,
ધાનઢગે  શાં  સ્મીતલ  કંકણ કોમળ કોમળ રણકે !!

Next Page »


કેટલાંયે વાંચ્યું ?

  • 3,443 hits

વખાણ્યાં લખાણ :

  • None